 |
દુઃખ સહન કરવાની જડીબુટ્ટી...
(તા. ૭-૫-૨૦૦૮, સારંગપુર)
એક મુમુક્ષુને સ્વામીશ્રી મળ્યા. શારીરિક રીતે તેઓએ ખૂબ સહન કર્યું હતું અને સહનશક્તિ પણ ખૂબ હતી, છતાં ક્યારેક હિંમત હારી જતાં તેઓએ કહ્યું : 'બહુ દુઃખ પડે છે.'
સ્વામીશ્રી તરત જ કહે : 'શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપા આપણી સાથે છે, મહારાજ સાથે છે. બધાને દુઃખ તો આવ્યાં છે. સંતો અને પરમહંસોને પણ દુઃખ આવ્યાં છે. બધાએ સહન કર્યું છે માટે મહારાજની ઇચ્છાથી જે આવ્યું હોય એ એમની ઇચ્છા માનીને ભોગવી લેવું. મનમાં જરાક થાય એ સ્વાભાવિક છે. વિચારો આવે એ પણ સ્વાભાવિક છે, પણ જે છે એ સ્વીકારીને શાંતિ રાખવી. ભગવાનનાં ચરિત્રો સાંભળવાં. શરીરના ભાવ છે એટલે સુખદુઃખ તો આવ્યાં કરે, પણ ભગવાને એટલી દયા કરી છે કે થોડુંક આપણે હરીફરી શકીએ છીએ. બળ રાખજે. હું પણ પ્રાર્થના કરું છુ _. મહારાજનું મોકલેલું છે એટલે ભોગવી લેવું. બીજો વિચાર ન કરવો. ઉદાસ થવું નહીં. મોટા મોટાએ પણ ભોગવ્યું છે. જે હશે એ આપણા સારા માટે હશે, એમ માની લેવું. દુઃખથી કંટાળવાનું નહીં. લોકોને તો એવાં દુઃખ હોય છે કે વરસો સુધી, પંદર-વીસ વર્ષ સુધી હૉસ્પિટલમાં પડ્યા રહેવું પડે છે. એના કરતાં હરાય-ફરાય છે, જોવાય છે એટલું સારું છે. માટે ભગવાનની ઇચ્છા માની લેજે.'
|
|