| |
આજ્ઞા-વિરુદ્ધ વર્તન એ જ ઉપાધિ
સારંગપુર પાસે સમઢિયાળા ગામ.
ગામમાં એક અમરશી પટેલ રહે. તેમને ધર્મ-નિયમમાં કચાશ. મંદિરમાં ધર્માદો કરે. ગામમાં મોભાદાર યુવાન વય. પંચમાં પૂછાય. વળી ગામના પટેલ. એટલે જીવનમાં શી મણા હોય ?
આ પટેલને એકવાર ભૂત વળગ્યું. પોતે ને પરિવારજનો પરેશાન પરેશાન થઈ ગયા. કેમેય કરીને ભૂત જાય નહિ.
સારંગપુર હનુમાનજીના મંદિરમાં પણ બહુ પ્રયત્નો કરી જોયા, ત્યાં પણ આરામ થયો નહિ.
તેમને સારંગપુરના કાના રાવળે કહ્યું : 'બધે દોડવા કરતા સ્વામી શાસ્ત્રીજી મહારાજ પાસે જાવ. મહાન પ્રતાપી પુરુષ છે. દૃષ્ટિમાત્રે કામ થઈ જશે. એમનો આશરો કરો. આશીર્વાદ લો.'
સ્વજનો સાથે અમરશી પટેલ શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા ને ચરણમાં માથું ટેકવી દીધું. તેમણે સ્વામીશ્રીની આંખોમાં આંખ મિલાવી. શાન્તિ શાન્તિ થઈ ગઈ. પછી તેમણે ભૂતની વાત કરી.
શાસ્ત્રીજી મહારાજ કહે : 'પંચવર્તમાન નિયમ-ધર્મ પાળો તો ભૂત નીકળી જશે...' એમ કહી તેમને વર્તમાન-નિયમ આપ્યા. તે દિવસથી તેમનું ભૂત ગયું.
શાસ્ત્રીજી મહારાજે જીવનશુદ્ધિના પાઠ આપી તે પટેલને આ લોકમાં તો સુખિયા કર્યા સાથે અક્ષરધામ સુધી નવો અર્ચિ માર્ગ પણ ચીંધી દીધો !
સાચા સત્પુરુષની આજ્ઞામાં કેટલું બળ હોય છે !!
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે, ભગવાન સ્વામિનારાયણે આપેલા આદેશોને જીવનમાં વણી લીધા હતા. અષ્ટાંગ બ્રહ્મચર્ય અને શુદ્ધ ઉપાસના એમના જીવનની જ નહિ, એમના આશ્રિતો-બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આબાલવૃદ્ધ - સૌ કોઈના જીવનની શાશ્વત વસંત બની ગઈ.
તેમની આજ્ઞા પાળનારના લૌકિક ભૂત તો શું પણ ભીતર રહેલાં એકાવનભૂત પણ નીકળી ગયાં છે.
શાસ્ત્રીજી મહારાજ કહેતા : 'આજ્ઞા-વિરુદ્ધ વર્તન એ જ ઉપાધિ. આપણે કોના શિષ્ય છીએ ? સાક્ષાત્ અક્ષરબ્રહ્મના, ગુણાતીતાનંદ સ્વામીના. પૂર્ણ પુરુષોત્તમનારાયણ સહજાનંદ સ્વામી આપણા ઇષ્ટદેવ છે. એમને ધર્મે સહિત ભક્તિ ગમે છે. માટે ધર્મપાલન, આજ્ઞાપાલન ઉપર ખાસ દૃષ્ટિ રાખવી. સાધુ તથા સત્સંગીઓએ કાયમ ખબરદાર રહેવું.
ઉપાધિમાં રહીને કોઈ નિર્લેપ રહી શકે જ નહિ. પંચવર્તમાનરૂપી કાયદામાં વર્તે તેને વાંધો ન આવે. જીવમાં અને અંતઃકરણમાં પાપ ભરાવવાનું દ્વાર ઇન્દ્રિયો જ છે. તેને વર્તમાનરૂપી નિયમમાં રાખવી. તો જ અક્ષરધામમાં જવાશે અને રહેવાશે.'
|
|